શિક્ષણનો અભાવ :પ્રશ્નોની હારમાળા, પડકારોની પરાકાષ્ઠા. - KAPIL SATANI

KAPIL SATANI

KAPIL SATANI BLOG IS THINKING FULL ARTICLES, PUBLISH BOOK, LITERATURE AND EDUCATIONAL INFORMATION

Breaking

Post Top Ad

Thursday, September 6, 2018

શિક્ષણનો અભાવ :પ્રશ્નોની હારમાળા, પડકારોની પરાકાષ્ઠા.

શિક્ષણનો અભાવ :પ્રશ્નોની હારમાળા, પડકારોની પરાકાષ્ઠા. 





                        ભણાવ્યે કોનું સારું થવાનું છે? કોને નોકરો મળવાનો છે? ખોટા ખર્ચા શા માટે કરવાં જોઈએ? છોકરીઓને તો પરણીને સાસરે જવાનું હોય? આપણાં છોકરાં ન ભણે વગેરે જેવાં વિવિધ પ્રશ્નો કરી આપણે શિક્ષણનું અપમાન કરીએ છીએ અને આપણાં સંતાનોને શિક્ષણથી વંચિત રાખીએ છીએ. શું માત્ર નોકરી મેળવવા માટે જ સંતાનોને ભણાવવાનાં ? સુવ્યવસ્થિત જીવન જીવવા માટે શું શિક્ષણની જરુર નથી? આપણે આપણા સંતાનોને શિક્ષણથી વંચિત રાખી શું સાબિત કરવા માંગીએ છીએ ? આવાં પ્રશ્નો આપણને થાય છે ખરાં ? આપણને તો એમ જ કે શિક્ષણનું ધ્યેય એટલે નોકરી આપવી, પરંતુ આ આપણી ગેરસમજ અને અણસમજ છે. શિક્ષણનું મુખ્ય ધ્યેય વ્યક્તિએ શું વિચારવું, કેવી રીતે વિચારવું તેમજ સમાજમાં કેવી રીતે ડગલાં માંડવા તે છે. શૈક્ષણિક પ્રકિયાનો મુખ્ય હેતુ માનવજાતનો વિકાસ છે.                 
                      શિક્ષણ એટલે માત્ર નવાં કપડાં, બુટ પહેરીને શાળાએ જવું તેટલું જ નહીં, પરંતુ જીવનમાં વિવિધ મૂલ્યોનું સંક્રાંતિકરણ. આ સંક્રાંતિકરણ શિક્ષણનાં માધ્યમથી જ થાય છે. શિક્ષણનો અભાવ એટલે અવ્યવસ્થિત જીવન, પ્રશ્નોની હારમાળા અને સમસ્યાઓનું સામ્રાજ્ય. સુષુપ્ત શક્તિનો સંચાર શિક્ષણ દ્વારા જ શક્ય છે. જો સંતાનોએ શિક્ષણ નહીં મેળવ્યું હોય તો કદાચ..... તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિ બહાર નહીં આવે!! શાળા અને શિક્ષણ સુષુપ્ત શક્તિ બહાર લાવવાનું મોટું પ્લેટફોર્મ ચોક્કસપણે ગણી શકાય. સંતાનો જ્યારે મોટા થાય છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે 'છોકરા કંઈ નવું નથી કરતા?' પણ ક્યાંથી કરે ? તેની સુષુપ્ત શક્તિનાં વિકાસ માટે આપણે વિચાર કર્યો છે ખરો ? આપણે સંતાનોની સુષુપ્ત શક્તિનાં વિકાસ વખતે તેને ધંધે જોતરી દઈ તેની મૌલિકતા અને સર્જનાત્મક પર રોક લગાવીએ છીએ. આમાં જવાબદાર આપણે પોતે જ છીએ. માતાપિતા શિક્ષણનાં અભાવથી અનેક હાડમારી ભોગવે છે. શિક્ષણનાં અભાવમાં બહારગામ જતી વખતે બસનું બોર્ડ વાંચવામાં મુશ્કેલી પડે તો બીજી તરફ મામલતદાર કચેરી, કલેકટર કચેરી, બેંક, પોસ્ટ ઓફિસ, વિવિધ સરકારી કચેરીઓનાં વહીવટ બાબતે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અશિક્ષિત માતાપિતાએ પોતાની જીંદગી બરબાદ કરી નાખી હોય છે સાથે સાથે પોતાનાં સંતાનોની જીંદગી કેમ બરબાદ કરે છે? તે પણ એક યક્ષ પ્રશ્ન છે. જે માતાપિતા પોતાનાં સંતાનોને ભણાવતાં નથી તેઓ પોતાના સંતાનોનાં શત્રુ નહીં તો બીજું શું ? જો દરેક માતાપિતા પોતાનાં વ્હાલસોયા સંતાનોનું સાચા અર્થમાં સુખ ઈચ્છતા હોય તો તેમને જરુર ભણાવે. શિક્ષણનાં અભાવથી માતાપિતાએ જે મુશ્કેલી વેઠવી પડી હતી તે સંતાનોને ન વેઠવી પડે તે માટે શિક્ષણ ગંગાજળ સમાન સાબિત થશે.            
                                 શિક્ષણનો અભાવ એટલે બાળમજૂરીનું વધતું જતું પ્રમાણ. બાળમજૂરી કૂદકેને ભૂસકે વધતી જાય છે. સરકાર કન્યા કેળવણીને ઉત્તેજન આપી રહી છે પરંતુ હજુ ગુજરાતનાં  હજારો ગામડાંઓ એવાં છે જ્યાં કન્યા કેળવણીને પૂરતો પ્રતિસાદ મળ્યો નથી. હજુ ધણાં ગામો એવાં છે જ્યાં દીકરીઓનાં શિક્ષણ પ્રત્યે રૂઢિચુસ્ત માન્યતાઓ પ્રવર્તે છે. દીકરીને પણ સુનિતા વિલિયમ્સની જેમ આકાશમાં ઊડવાનો મનસૂબો હોય છે. દીકરીઓનાં શિક્ષણ પ્રત્યે પણ ઠોસ વિચારણા થવી જ જોઈએ.સમાજમાં પ્રવર્તતી તમામ સમસ્યાનું સમાધાન એટલે શિક્ષણ.              
                                    કમ્પ્યુટર અને ઈન્ટરનેટનાં બદલાતા જતા નૂતન પ્રવાહ સાથે તાલ મિલાવવા શિક્ષણ અનિવાર્ય અંગ છે.શિક્ષણ એ માનવજીવનને બહેતર અને ઉન્નત બનાવવા માટેની માનવશકિતની વિકાસાત્મક પ્રકિયા છે. ઉત્ક્રાંતિવાદનાં નિયમનાં સૂત્રરૂપે એમ કહેવામાં આવ્યું છે કે '  Learn Today to live tomorrow ' (કાલે જીવવા માટે આજે શીખો) શિક્ષણ એ તો માણસને માનવ તરીકે જીવતાં શીખવે છે. માનવનાં જીવનપથમાં અજવાસ ફેલાવે છે. આવો સૌ સાથે મળીને શિક્ષણજયોત જગાવીએ અને અંધકારને દૂર કરી રાષ્ટ્રને પ્રકાશમય બનાવીએ !! 

No comments:

Post a Comment

THANK YOU FOR COMMENTS.
KAPIL SATANI

Post Top Ad